ગુજરાતના જમીન માફિયા સાથે પોલીસ શું કરવા જઇ રહી છે? વાંચો DGPનો ખાસ ઇન્ટરવ્યૂ

PC: youtube.com

રા્જ્ય સરકારે હાલ ગુંડાગીરી અને લેન્ડ ગ્રેબિંગ માટે નવો કાયદો પસાર કર્યો છે. આ કાયદાને કારણે સામાન્ય લોકોને વ્યાજના ચક્કરમાં કે જમીનના કેસોમાં હેરાન કરતા માફિયાઓ પર લગામ કસાશે. સરકારે તો કાયદો બનાવી દીધો પરંતુ તેનો અમલ કરશે પોલીસ. અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે આ નવા કાયદાના અમલ માટે પોલીસે શું તૈયારી કરી છે. હાલમાં ગુજરાતના પોલીસવડા  આશિષ ભાટિયાનું નામ કાયદો અને વ્યવસ્થાની જાળવણીથી લઇને આંતકવાદને નાથવા સુધીના કેસોમાં ખૂબ જ માનપૂર્વક લેવાય છે. અમદાવાદ અને સુરતમાં થયેલા સિરિયલ બ્લાસ્ટનો ગુનેગારોને પકડવામાં તેમની મોટી ભૂમિકા હતી. તેમની સાથે ગુજરાતના વરિષ્ટ ક્રાઇમ રિપોર્ટર હરેશ ભટ્ટે વાત કરી હતી. ગાંધીનગર સ્થિત તેમની કચેરીમાં તેમણે આપેલી એક વિશેષ મુલાકાતમાં તેમણે આ સ્થિતિ સ્પષ્ટ કર્યા બાદ કહ્યું કે હાલમાં રાજ્યભરના જમીન માફિયાઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જમીન માફિયા સામે કડક હાથે કામ કરવા માટે જે નવો કાયદો આવી રહ્યો છે તેનમલ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તેમની સાથે થયેલી વાતચીતના અંશો

જંમીન માફિયાઓ સામે પગલા લેવા માટે પોલીસની શું તૈયારી છે 

જમીન માફિયા સંદર્ભે વાત કરતા તેમણે કહ્યું કે,  જમીન માફિયા (લેન્ડ ગ્રેબર) વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેની સામે પાસાનું શસ્ત્ર પણ ઉગામાશે. આ ઉપરાંત સરકાર જમીન માફિયા વિરુદ્ધ એક કાયદો લાવી છે. જેમાં સજાની જોગવાઇ વધુ છે. ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષની સજાની જોગવાઈ છે. આ કાયદા તળે લેન્ડ ગ્રેબરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

શું પોલીસને ખબર છે કે કોણ છે લેન્ડ ગ્રેબરો

હાલ રાજ્યભરમાં આવા જે લેન્ડ ગ્રેબરો છે તે તમામની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જમીન માફિયા સામેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

બોલીવુડમાં ડ્રગ્સની વાતો સાથે ગુજરાતમાં પણ મોટાપાયે ડ્રગ્સ પકડાઇ રહ્યું છે 

 આ દૂષણ દૂર કરવા એક ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જેના સંદર્ભમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કેસ પણ થઈ રહ્યા છે. આ નેટવર્ક સંદર્ભેની જાણકારી એવી છે કે ડ્રગ્સ મુંબઈથી ગુજરાતમાં મોકલવામાં આવે છે. જ્યારે ગાંજો ઓરિસાથી ટ્રેન અથવા ટ્રક મારફતે સુરત લાવવામાં આવે છે. સુરતથી રાજ્યના તમામ વિસ્તારોમાં આ ગાંજો પહોંચાડવામાં આવે છે. આવા ગુનામાં પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પાસાની કાર્યવાહી તો કરવામાં આવશે જ એ ઉપરાંત આવા આરોપીની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

પોલીસની ગુનામાં સંડોવણી અંગે શું કહેશો 

રાજ્યનાં જુદા જુદા શહેરોમાં કેટલાક ગુનામાં પોલીસ અધિકારી અને કર્મચારીની સંડોવણી બહાર આવી છે તે સંદર્ભે વાત કરતા તેમણે કહ્યું કે કોઇ પણ ગુનેગાર સાથે પોલીસની સંડોવણી જણાશે તો તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. જમીનના મામલે જો કોઇ પણ પોલીસ અધિકારી કે કર્મચારીની બિનઅધિકૃત રીતે દખળગીરી ધ્યાનમાં આવશે તો તેની સામે કડક હાથે કામગીરી કરવામાં આવશે.

પોલીસવડા તરીકે તમારી લોકોને શું અપીલ છે 

ગુજરાતની જનતા શાંતિ પ્રિય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહકાર આપી રહી છે. હજુ પણ લોકો પોલીસને સહકાર આપે, નજીકના વિસ્તારમાં કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોય તો પોલીસને જાણ કરે. પોલીસ ત્વરિત ગતિએ પગલાં ભરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp