હરિદ્વાર-નેપાળમાં ફસાયેલા 1800 ગુજરાતી મુસાફરોને 28 બસ દ્વારા પરત લવાશે

PC: google.com

કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિમાં દેશવ્યાપી લોકડાઉનની સ્થિતિમાં આજે ચોથા દિવસે ગુજરાતમાં નાગરિકોને જીવન આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરતી માત્રામાં ઉપલબ્ધ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારના વિભાગો નાગરિકો-પ્રજાવર્ગોને આ લોકડાઉન દરમિયાન કોઇ જ દુવિધા ન પડે તે માટે સતત કાર્યરત છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્ય સરકાર દ્વારા આ હેતુસર લેવામાં આવેલા આયોજનબદ્ધ પગલાંઓ અને પુરવઠાની સ્થિતિની વિગતો આપી હતી. હાલની લોકડાઉનની સ્થિતિમાં વાહનવ્યવહાર પણ બંધ છે ત્યારે ગુજરાતના મૂળ રહેવાસી અને નેપાળ, હરિદ્વાર જેવા સ્થળોએ પ્રવાસે ગયેલા અને ત્યાં સ્થગિત થઇ ગયેલા 1800 થી વધુ યાત્રાળુઓને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીના સચિવે આ વિગતો આપતાં કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેમિકલ ફર્ટિલાઇઝર રાજ્ય મંત્રી મનસુખ માંડવીયા તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીની સંનિષ્ઠ દરમિયાનગીરીથી આ યાત્રાળુ-મુસાફરોને 28 જેટલી ખાસ બસો મારફત ગુજરાત પરત લાવવામાં આવી રહ્યા છે.

સુરત-વડોદરા-રાજકોટ-ભાવનગર-જામનગર-ખેડા અને આણંદ જિલ્લાઓના આ યાત્રાળુ-મુસાફરો રાજ્યની સરહદમાં અરવલ્લી જિલ્લામાં પ્રવેશે ત્યારે તે તમામનું હેલ્થ ચેક અપ કરીને તેમના જમવા તેમજ અન્ય વ્યવસ્થાઓ કરી તે મુસાફરોને પોતાના ગામ-નગર-શહેર પહોચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ હતું.

તેમણે કહ્યું કે, લોકડાઉનની આ સ્થિતિમાં રાજ્યભરમાં ઊદ્યોગો-કારખાનાઓ બંધ છે ત્યારે તેમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો-કામદારો તથા ગુજરાતના અંતરિયાળ વિસ્તારના આવા કારીગરો તેમના વતન જવા પગે ચાલીને નીકળી પડયા છે. મુખ્યમંત્રીએ આવા શ્રમિકોને પગે ચાલીને વતન ભણી ન જવા અપિલ પણ કરી છે. વિજય રૂપાણીના ધ્યાને એ બાબત આવી હતી કે શુક્રવારે રાત્રે રાજ્યના જુદા જુદા હાઇ-વે પર આવા આશરે 10 હજારથી વધુ શ્રમિકો પગપાળા જઇ રહ્યા હતા.

મુખ્યમંત્રીએ આ શ્રમજીવીઓ પ્રત્યે માનવીય સંવેદના દર્શાવી સંબંધિત જિલ્લાતંત્રને મદદરૂપ થવા તાકીદ કરી અને તેના પરિણામે આ શ્રમિકોને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના અન્ય વનબંધુ જિલ્લાઓમાં વાહનો દ્વારા પહોચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના સચિવએ હવે કોઇજ આવા શ્રમિકો કે કારીગરો પોતાના વતન કે ગામ ન જાય અને હાલની સ્થિતિમાં સુરક્ષિત રહેવા જ્યાં છે ત્યાં જ રહે તેવી અપિલ પણ કરી હતી.

તેમણે ઉમેર્યુ કે રાજ્યમાં આવા શ્રમિકો-કારીગરો અને જરૂરતમંદ વ્યકિતઓ માટે જિલ્લા વહિવટીતંત્ર અને સ્વૈચ્છિક સેવા સંગઠનો ફૂડપેકેટ તૈયાર કરીને તેનું વિતરણ સેવાભાવે કરે છે તેમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 2 લાખ 82 હજાર ફૂડપેકેટ વિતરીત કરવામાં આવ્યા છે. અશ્વિનીકુમારે રાજ્યમાં શાકભાજી, દૂધ વગેરે આવશ્યક ચીજવસ્તુઓ પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે તેની વિગતો આપી હતી.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, શનિવારે રાજ્યમાં 255 લાખ લીટર દુધની આવક થઇ છે અને 42.40 લાખ લીટર દૂધ પાઉચ વિતરણ થયું છે. ટ્રેટાપેકમાં 40 હજાર લીટર દૂધનું વેચાણ થયું છે. રાજ્યમાં શનિવારે બધી જ એટલે કે 72 હોલસેલ શાકમાર્કેટ કાર્યરત રહી છે તેની પણ અશ્વિનીકુમારે વિગતો આપી હતી. તેમણે ઉમેર્યુ કે, શાકભાજીની આવકમાં પણ શુક્રવારની 85 હજાર 113 કવીન્ટલની આવક સામે 45 હજાર કવીન્ટલ વધુ એટલે કે 1 લાખ 29 હજાર 90 કવીન્ટલ શાકભાજી શનિવારે વધારે આવી છે.

આ શાકભાજીમાં બટાટા 35577 કવીન્ટલ, ડુંગળી 24420 કવીન્ટલ, ટમેટા 13718 કવીન્ટલ અને અન્ય લીલા શાકભાજી 55755 કવીન્ટલનો આવરો થયો છે. રાજ્યમાં ફળફળાદિની આવક પણ 700 કવીન્ટલ વધી છે. શુક્રવારે 4832 કવીન્ટલ ફળો આવેલા જ્યારે શનિવારે 1055 કવીન્ટલ સફરજન, 825 કવીન્ટલ કેળાં અને 3710 કવીન્ટલ અન્ય ફળોની આવક થઇ છે. અશ્વિનીકુમારે કહ્યું કે લોકોને લોકડાઉનના આ સમયમાં આવશ્યક ચીજવસ્તુઓ સરળતાએ મળી રહે તે માટે જે-તે જિલ્લા-તાલુકા અને શહેરીતંત્ર દ્વારા ફેરિયાઓ-છૂટક વેપારીઓને પાસ ઇસ્યૂ કરવામાં આવે છે આવા 96 હજારથી વધુ પાસ સમગ્ર રાજ્યમાં અપાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp