પોલીસ પહેરો નાકામ: નહેરો-ખાડીમાં 4000 શ્રીજી પ્રતિમા રઝળતી મળી

PC: Khabarchhe.com

સુરત: આ વખતે કોરોના વાઈરસના ભારે ફેલાવાને કારણે સુરત સહિત રાજ્યમાં જાહેર સ્થળો પર શ્રીજીની પ્રતિમા સ્થાપન અને નદી-દરિયા, નહેરોમાં વિસર્જન પર પાબંદી હતી અને તે માટે પોલીસે જાહેરનામું બહાર પાડી કાયદેસરના પગલા લેવાની વાત કરી હતી. પોલીસ, મહાપાલિકા, કલેક્ટર અને સામાજિક સંસ્થાઓ તેમજ ગણેશ ઉત્સવ સમિતિએ પણ લોકોને ઘરમાં જ વિસર્જન કરવા માટે અપીલ કરી હતી પરંતુ કેટલાક ભક્તોને જાણે કોઈ દરકાર જ ન હોય તે રીતે વર્તી નહેરો અને ખાડીઓમાં ચૂપચાપ શ્રીજીની નાની પ્રતિમા વિસર્જન કરી ગયા હતા. જોકે, આ પ્રતિમાઓ રજળતી પડી રહી હતી. સુરતમાં આવી જ અર્ધ વિસર્જિત  4000 જેટલી પ્રતિમાઓ કે જેમાં પીઓપીની પણ હતી તેનું સાંસ્કૃત્તિક રક્ષા સમિતિના સ્વંય સેવકોએ ટેમ્પોમાં લઈ જઈ હજીરાના દરિયા કિનારે શ્રધ્ધાભેર વિસર્જન કર્યું હતું. 

 પોલીસ પર અભદ્ર વ્યવહારનો આરોપ

સંસ્થાના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ આરોપ લગાવતા કહ્યું હતું કે, રઝળતી શ્રીજીની પ્રતિમાઓનું હજીરા ખાતે વિસર્જન કરવા જતાં રસ્તામાં હજીરા પોલીસના પીસીઆર વાનમાં સવાર પોલીસ જવાનોએ એ શ્રીજીથી ભરેલ આઇસર ટેમ્પોને અટકાવી યુવાનો સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો  તેમજ 188 મુજબની કાર્યવાહી કરવાની વાત કરી હતી. જોકે, હજીરા પોલીસ મથકના ઈન્સ્પેક્ટરને રુબરુ મળી હકીકત જણાવતા અને સાથે  ડીંડોલી વિસ્તારની નેહરોમાંથી ડીંડોલી પોલીસની રૂબરૂ માં આ રઝળતી પ્રતિમાઓ ઉઠાવી હોવાથી ત્યાંથી કન્ફર્મ કરાવતા હજીરા પોલીસે વિસર્જન કરવાની અનુમતિ આપી હતી. 

 આ આખી ટીમે કર્યું કામ, ચાર વર્ષથી આપે છે સેવા

શહેરની નહેર-ખાડીઓમાં રઝળતી/અર્ધ વિસર્જિત કરેલી ગણેશજીની પ્રતિમાની આશિષ સુર્યવંશીને જાણ થતા સાંસ્કૃતિક રક્ષા સમિતિના અન્ય આગેવાનો યોગેશ બોરસે, ચેતન આવકાળે, હરીશ પાટીલ, પિયુષ રાણા(એડવોકેટ), પ્રફુલભાઈ કટિયારે, એકનાથભાઈ, આકાશ સોની, સંદીપભાઈ, કૃણાલ સુર્યવંશી, તેમજ પાંડેસરાનું બડા ગણેશ ગ્રુપ તેમજ ઉધનાનું કાશી યુથ ગ્રુપ તેમજ લિંબાયતનું આદર્શ ગ્રુપ, દેવા ફાઉન્ડેશનના આગેવાન કૈલાસભાઈ પાટીલ તથા અન્ય 100 થી વધુ યુવાનોની મદદથી ડીંડોલી-ખરવાસા નહેર અને પુનાગામ નહેરમાંથી આ રજળતી પ્રતિમાં કાઢી વિસર્જિંત કરાય હતી. ઉલ્લેખનીય સાંસ્કૃતિક રક્ષા સમિતિના પ્રમુખ આશિષ સૂર્યવંશી અને સાથી મિત્રો દ્વારા છેલ્લા 4 વર્ષ થી ગણેશજીની તથા દશામાતાની POP ની પ્રતિમાઓ શહેરની વિવિધ નહેરો અને ખાડીમાં અથવા અન્ય સ્થળોએ પડી હોય તેને ઉઠાવીને વિસર્જન કરે છે અને આ અંગે વારંવાર સંબંધિત સત્તાવાળાઓને રજૂઆતો કરે છે પણ પીઓપીની પ્રતિમાના ખરીદ-વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાતો નથી. પરિણામે આવી અવદશા થાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp