15 નેતાઓની ટોળકીનો કોંગ્રેસ પર 22 વર્ષથી કબજો, વારંવાર હાર માટે આ ટોળકી જવાબદાર

PC: khabarchhe.com

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ જેવા 15 નેતાઓ 22 વર્ષથી કોંગ્રેસને બનાવી રહ્યાં છે. હાર માટે આ નેતાઓ જ જવાબદાર હોવાનું વારંવાર નેતાઓ કહેતા આવ્યા છે. આ ટોળકી ભાજપને મદદ કરી રહી હોય એવો માહોલ ગુજરાતની પ્રજા વચ્ચે વારંવાર ઊભો થતો રહ્યો છે. તેમને ખસેડવામાં આવતાં નથી. વારંવારની નિષ્ફળતા છતાં તેમને નેતાઓની આસપાસ ફરતા રાખવામાં આવી રહ્યાં છે. ગુજરાતની જનતાએ આ નેતાઓને ક્યારના ફગાવી દીધા છે છતાં તેઓ કોંગ્રેસના દિલ્હીના નેતાઓની આસપાસ કાયમ ગોઠવાતા રહ્યાં છે. પ્રજા તેમને પસંદ કરતી નથી. અહેમદ પટેલને રાહુલ ગાંધીએ ફેંકી દીધા બાદ ફરી એક વખત અહેમદ પટેલ ગુજરાત કોંગ્રેસ પર પ્રભુત્વ ધરાવતાં થયા છે. ગુજરાતમાં અહેમદ પટેલ અને તેમના 15 નેતાઓના કારણે કોંગ્રેસ હારતી આવી છે. 22 વર્ષથી અહેમદ પટેલ નિષ્ફળ છે છતાં તેમની ટોળકીને પ્રમોટ કરીને ખરા કાર્યકરોને દૂર રાખવામાં આવી રહ્યાં છે. તેથી હમણાં 67 જેટલાં પૂર્વ ધારાસભ્યો અને સંસદસભ્યો કોંગ્રેસ છોડીને જતાં રહ્યાં છે. આ ટોળકીએ આત્મમંથન કરવાના બદલે પક્ષને અંધકારમાં ધકેલવાનું કામ કર્યું હોવાનો આરોપ ફરી એક વખત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે લગાવ્યો છે.

કોણ પીઠબળ પૂરું પાડે છે

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક પછી કોંગ્રેસમાં વિખવાદો વધી રહ્યા છે. જૂથવાદ વધારવામાં આવી રહ્યો છે. પ્રદેશના નવા માળખાને લઈને અમિત ચાવડા, પરેશ ધાનાણી અને વરિષ્ઠ નેતાઓ વચ્ચે આંતરિક લડાઈ વધી હતી. વરિષ્ઠ નેતાઓને એવું લાગે છે કે, તેમની અવગણના થઈ રહી છે. આ ટોળકી પોતાના લોકોની ટિકિટો લાવે છે કે અપાવે છે અને પક્ષ હારે છે. જેને અહેમદ પટેલ પીઠબળ પૂરું પાડી રહ્યા છે.

17 અસંતુષ્ટો હવે નકામા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં શરૂ થયેલા ખુલ્લા જૂથવાદના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ આ ઉકળાટ વધે છે.

અહેમદ પટેલ નિષ્ફળ

લોકસભાની ચૂંટણી વખતે પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાના અમદાવાદના નિવાસ સ્થાને 17 જેટલા અસંતુષ્ટ નેતાઓએ જાહેર કર્યું હતું કે, પક્ષમાં પોતાની ઉપેક્ષા થાય છે. ત્યારે અહમદ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં કોઈ નેતાની નારાજગી અંગેની માહિતી મને મળી નથી. જો કે આ ઘરનો મામલો હોઈ ક્યારેક વાસણ ખખડે પણ ખરા. કોંગ્રેસમાં સબ સલામત છે. એવું અહેમદ પટેલે કહ્યું પણ ખરી વાત તો એ છે કે, કોંગ્રેસમાં જૂથવાદ વકરે તે માટે અહેમદ પટેલ પોતે ઇચ્છે છે, તે આ પરથી સમજાય છે.

અન્યાયની શરૂઆત

પ્રદેશ માળખામાં 382માંથી માત્ર 6 ટકા પાટીદારોને અને 2 ટકા સવર્ણોને સ્થાન આપવામાં આવ્યું હોવાથી અમિત ચાવડા સામે વિરોધ થઈ રહ્યો છે. હાંસિયામાં ધકેલી દેવાની રાજકીય પક્ષોની વૃત્તિ હોવાનું ખૂલી ગયું છે. તેવો વિરોધ રાજકોટ કોંગ્રેસ તાલુકા પ્રમુખ સંજય ખૂંટે કર્યો છે. કોંગ્રેસમાં અત્યારે મોટાભાગના મહત્ત્વના પદ પર ક્ષત્રિય કે રાજપૂત નેતાઓ બેઠા છે.

બે નેતાઓની જૂથ

27 માર્ચ 2018થી અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બન્યા છે. ગુજરાત કોંગ્રેસનું નવું પ્રદેશ માળખું 20 નવેમ્બર, 2018ના દિવસે જાહેર કરાયું જેમાં 382 હોદ્દાઓ છે, 22 ઉપપ્રમુખ, 43 મહામંત્રી અને 169 મંત્રી છે. તેઓ પક્ષને બેઠો કરી શક્યા નથી. પરેશ ધાનાણીએ અર્જુન મોઢવાડીયા થકી ગુલાંટ મારી છે અને અહેમદ પટેલના ઝબ્ભાનો છેડો પકડી લીધો છે.

પરિવારવાદ

અમિત ચાવડા, પરેશ ધાનાણી અને વિરજી ઠુમ્મર પર પરિવારવાદનો આરોપ છે. જૂથવાદનો દાવાનળ ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાય મહિનાઓથી ભભૂકી રહ્યો છે, જેને શાંત કરવા અમિત ચાવડાએ ક્યારેય પ્રયાસ જાહેર કર્યા નથી. ભરતસિંહ સોલંકી કહે એટલું જ તેમના ભાઈ અમિત ચાવડા કરી રહ્યા છે. અમરેલીના નેતા દિપક માલાણીએ પરેશ ધાનાણી અને વિરજી ઠુમ્મર પર પરિવારવાદનો આરોપ મૂક્યો હતો. ત્રણેય કોંગ્રેસ અગ્રણી પરિવારવાદ ચલાવે છે.

કોંગ્રેસ પ્રવક્તા અને રાષ્ટ્રીય પક્ષના પ્રતિનિધિ મનહર પટેલે શું કહ્યું?

ગુજરાત કોંગ્રેસના મજબૂત નેતા, પક્ષના પ્રવક્તા અને રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધિ મનહર પટેલને રાહુલ ગાંધીને મળવા ન દેવાતાં તેઓએ પક્ષના 15 નેતાઓ સામે ફેસબુક પર સત્યવાતો કહી છે. જે પક્ષના નેતાઓથી સહન ન થતાં પક્ષ વિરોધી વાત ગણીને તેમને શિસ્ત ભંગ ગણીને ખૂલાશો માંગતી નોટિસ આપી છે. થોડા દિવસ પહેલાં પક્ષના પ્રવક્તા જયરાજસિંહ પરમારે પણ પક્ષની નેતાગારી સામે વિરોધ કર્યો હતો. આમ હવે કોંગ્રેસ પક્ષ અંદરથી ખોખલો બની ગયો છે.

રાહુલ અમદાવાદમા આવેલા તેમની ઉપર ગુનો નોંધેલો હોવાથી તેમની સાથે રહેવા માટે બધા 200 કિ,મી. દૂરથી હું તેમને મળવા માટે અમદાવાદના એનેક્સીમાં અન્ય કાર્યકરોની સાથે ગયો હતો. મને રોકવામાં આવ્યો હતો. પ્રમુખ અમીત ચાવડા અને ઉપ પ્રમુખ ઘણા જૂનિયર આગેવાનોને અંદર જતા રોકવામાં આવ્યા ત્યારે મને કહેવામાં આવ્યું કે તમે અપેક્ષિત નથી. તેથી રાહુલ ગાંધીને મળવા માટે અંદર નહીં જઈ શકો. મને લાગ્યું કે ઓલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનો સભ્ય છું અને ગુજરાત પ્રદેશ સમિતિનો પ્રવક્તા છું.

ગઈ લોકસભામાં કોંગ્રેસ પક્ષ તરફતી ભાવનગરમાં મને ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી. હું 24 કલાક કોંગ્રેસના વિચારો માટે કામ કરી રહ્યાં છીએ. મને ઠેસ પહોંચી છે. આગેવાન ગુજરાત આવે તેમની મુશ્કેલીને લઈને આવે ત્યારે હું ઘરમાં બેસી ન શકુ. મને મળતો રોકવામાં આવ્યો હતો. અનેક લોકો સાથે બને છે તેથી લોકો કોંગ્રેસ છોડીને જઈ રહ્યાં છે.

બે પાંચ જણના કારણે આવું બની રહ્યું છે. હું પક્ષને પ્રેમ કરૂં છું. 20 વર્ષથી કોંગ્રેસની માળા જપીએ છીએ. છતાં અમારી સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. હું કોંગ્રેસને નુકસાન કરવા નથી કહી રહ્યો. કોંગ્રેસના સ્થાપિત હિતો, એકલ દોકલ લોકો દ્વારા આવી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. પક્ષની અંદર દુશ્મન કોઈ છે ? 67 પૂર્વ ધારાસભ્યો અને સંસદસભ્યો કોંગ્રેસ છોડીને જતાં રહ્યાં છે. થોડું તો પૃથ્થકરણ કરીએ. જો ઓપીડી બરાબર હોય તો આવું થશે. શું ખામી કે ખરાબી છે તે અંગે તપાસ નહીં કરીએ તો આપણે ઈલાજ કરી શકવાના નથી.

કોંગ્રેસે 20 વર્ષથી મને ઘણું આપ્યું છે. જે આપવા જેવું હતું તે બધું આપ્યું છે. એટલે માન અપમાનનો સવાલ કે ન આપવાનો સવાલ પક્ષ સામે નથી. હું માંગું અને પક્ષ આપે એવું નથી. બોટાદની ટિકિટ આપી ફોર્મ ભરીને બહાર નિકળ્યો તો બીજાને મેન્ડેટ આપી દેવાયો હતો. તે અપમાન હોવા છતાં પક્ષનો નિર્ણય મેં માથા પર લીધો હતો. મારો પક્ષ હતો.

અન્યાય સહન થઈ શકે પણ અપમાન નહીં. અપમાન સહન કરવા માનસિક રીતે સદ્ધર નથી. પક્ષની અંદર સંવેદનશીલ રાજનીતિ કરતાં હોઈએ ત્યારે આવું અપમાન કરવામાં આવે તે યોગ્ય નથી. એકલ દોકલ બે પાંચ આગેવાનોના કારણે અમારા અપમાન થઈ રહ્યાં છે. જાહેર જીવનમાં કદર ન કરવામાં આવે.

પ્રમુખ અમિત ચાવડાને 4 વખત ફોન કર્યા હતા તેમણે એક પણ વખત ફોન ઉપાડ્યો નથી. અમારા આગેવાન કમસે કમ ફોનનો જવાબ આપે.

પરેશ ધાનાણીએ મને કહ્યું કે તમારી લાગણી સાતવને પહોંચાડો. મારે તો ભાવનગરની જનતાની પીડા છે તે રાહુલ ગાંધીને પહોંચાડવી હતી. ભાવનગર અંગે સરકારને વારંવાર રજૂઆતો કરી છે.

ભાવનગરની પ્રજાની મુશ્કેલી હું રાહુલને કહેવા માંગતો હતો. જનતાની પીડા કહેવા માંગતો હતો.

જે લોકો લાયક નથી તેઓ રાહુલને મળવા માટે અંદર હતા. તો મારી સામે શા માટે આટલી બધી ઘૃણા છે. મેં પક્ષને હંમેશ માથે ચઢાવ્યો છે.

જયરાજસિંહ પરમારે પોતાની લાગણી જાહેરમાં વ્યક્ત કરી હતી. મનીષભાઈએ પણ આવી જ વાત કહી હતી. હિમાંશુભાઈએ આવી જ વાત કરી હતી.

પક્ષના નેતાઓ દ્વારા યોગ્ય કામ આપવામાં આવતું નથી. છતાં અમને જે યોગ્ય લાગે તે કામ પક્ષ માટે કરીએ છીએ.

25 વર્ષથી સ્થાપિત હિતો પક્ષને નુકસાન કરી રહ્યાં છે. 5 કે 25 લોકો 25 વર્ષથી ગુજરાત આખાનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં 26મો કોઈ નથી. મારા ભાવનગર માટે કોણ બોલશે. પક્ષ જ્યારે મારી પ્રજા માટે ઉદાસીન હોય ત્યારે કોણ મારા ભાવનગરની વાત કરશે.

આવા સ્થાપિત હિતો કોંગ્રેસના નેતાને મળવા માટે દરવાજા બંધ કરી દે છે.

મારા દિલને મોટી ઠેસ પહોંચી છે. હું તેથી આવનારા દિવસોમાં રાહુલ ગાંધીને મળવાનો છું. પક્ષની શિસ્તમાં રહીને હું આ વાત રાહુલને કહેવાનો છું. મારે કોઈ પદ નથી જોઈતા. હું કોઈ પદ માંગવાનો નથી. માંગીએ અને ન આપે એવું નથી.

આગેવાનો આડશરૂપ બનતાં હોય તો તેમને ખબરદાર કરવા માંગીએ છીએ. આ પદ્ધતિ બરાબર નથી. આગેવાનો જે ભાવનાથી કામ કરે છે તે જ ભાવનાથી અમે કામ કરીએ છીએ. ભાવનાઓ ટકરાઈ રહી છે અને જનતાનો દ્રોહ કરી રહ્યાં છીએ. જનતાના કામ કરવામાં બાધારૂપ બની રહ્યા છીએ.

મારે ફેસબુક પર જાહેર માધ્યમથી એટલા માટે કહેવું પડે છે કે, જ્યારે પ્રમુખ કે બીજા આગેવાનો ફોન ન ઉપાડે ત્યારે લાગણી વ્યક્ત કરવાનો આ એકમાત્ર માર્ગ છે.

મેં રાહુલ ગાંધીને મેસેજ કર્યો છે કે હું તમને મારી લાગણી પહોંચાડવા માંગું છું. મને તમને મળતા રોકવામાં આવ્યો છે. તેથી અનેક નેતાઓ પક્ષને છોડીને જતાં રહ્યાં છે. પક્ષ છોડીને આગેવાનો કેમ જઈ રહ્યાં છે તેનું પોસ્ટમોર્ટમ કરો. આવા જ કારણો છે. રાહુલ ગાંધીને જે લોકો રિપોર્ટિંગ કરવા જવાબદાર છે તેમણે તેનું પોસ્ટમોર્ટમ કરવું જોઈતું હતું. કેટલાંક લોકો હજુ એવા છે કે તેમના અપમાન કરવામાં આવી રહ્યાં છે. તેમને કોઈ પૂછતું પણ નથી કે તેઓ શા માટે આવું કરી રહ્યાં છે.

નેતૃત્વનો ફેરફાર કેમ કરવામાં આવતો નથી. કોઈને કાઢવાની વાત નથી પણ વૈચારીક રીતે ફેરફાર કરો. કોંગ્રેસ પર ગુજરાતની જનતાને ભરોસો છે. મત આપનારને તો એવું ન લાગવું જઈએ કે તેમણે ખોટો મત આપી દીધો છે.

જ્યારે શીર્ષ નેતૃત્વ ગુજરાત આવે ત્યારે તેમને મોકળા મને મળવા દો એવી મારી માંગણી છે. દર વખતે તમે રાહુલ ગાંધી સાથે કાયમ ભોજન લો છો ત્યારે એવો વિચાર કેમ ન આવ્યો જિલ્લા કે તાલુકાના કાર્યકરોની સાથે પણ રાહુલ ગાંધીને ભોજન કરાવીને તેમની વાત સાંભળે. કેમ રાહુલ સાથે 5-15 લોકો જ ભોજન લઈ રહ્યાં છો. તમે 15 લોકો ટોળા વળીને રાહુલની પાછળ કેમ ફરી રહ્યાં છો. પ્રોટોકોલ આ 15ને જ સંભાળતા આવડે એવું થોડું છે.

આ વાત કોંગ્રેસ સામેની નથી. હું કોંગ્રેસ છોડવાનો નથી. ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે તે માટે રૂક જાઓ એવું કહેવા માટે ફેસબુક પર જાહેર કરું છું. મત લેતી વખતે ગુજરાતની જનતાને કોંગ્રેસે કહ્યું છે કે કોંગ્રેસ તમારી સાથે રહેશે.

ભાજપના શાસનમાં હાલના ખરાબ દિવસો કરતાં પણ વધુ ખરાબ દિવસો આવી રહ્યાં છે. અર્થવ્યવસ્થા ખરાબ થઈ છે. ગામડાઓ ખાલી થઈ રહ્યાં છે.

(દિલીપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp